
HEALTH ALERT
February 2, 2025 at 07:44 AM
*પુસ્તક પરિચય÷ The Emperor Of All Maladies (A Biography of Cancer) by Dr.Siddhartha Mukherjee*
- ડો.જીતેશ મોરી
ડો.સિદ્ધાર્થ મુખરજીએ વર્ષ 2010માં આ પુસ્તક The emperor of all maladies કે જેને કેન્સર રોગ અંગેની બાયોગ્રાફી કહી શકાય તે પ્રમાણે ખૂબ જ વિસ્તારથી આ પુસ્તકમાં માહિતી આપી છે.
આ પુસ્તકને વર્ષ 2011માં પ્રતિષ્ઠિત પુલીત્ઝર પ્રાઈઝ(Non-fiction) મળ્યું હતું,
જે આ પુસ્તકનું કેટલું મહત્વ છે તે દર્શાવે છે.
*પુસ્તક અંગે* ÷
આ પુસ્તક આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ. આજના 21મી સદીના યુગમાં કેન્સર રોગના દર્દીઓ ખાસ કરીને ભારતમાં ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યા છે ત્યારે કેન્સર રોગની ઉત્પત્તિ,તેનો ઇતિહાસ,તેની સારવાર વગેરે મુદ્દાઓને આ પુસ્તકમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે.
આ પુસ્તક કુલ છ ભાગમાં વહેંચાયેલું છે જેમાં કુલ 49 પ્રકરણોનો સમાવેશ થાય છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખક જણાવે છે કે બીમારીઓ એ આપણા જીવનની અદ્રશ્ય બાજુ છે જેને આપણે જોવા માંગતા નથી પરંતુ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક એનો ભોગ બનવું જ પડે છે.
હવે આપણે બધા જ એ જાણી ચૂક્યા છીએ કે કેન્સર એ એવો રોગ છે કે જેનું કારણ છે,કોષોની અનિયંત્રિત વૃદ્ધિ .
કોષોની અનિયંત્રિત વૃદ્ધિ માટે મ્યુટેશન (જીન્સમાં થતા ફેરફારો) જવાબદાર હોય છે. એક નોર્મલ કોષમાં
કોષ-વિભાજન અને કોષના નાશ થવા માટે એક નિશ્ચિત પેટર્ન હોય છે. કેન્સર કોષમાં આ પેટર્ન તૂટવાથી કોષો અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે.
આમ કહી શકાય કે કેન્સર એટલે શરીરના કોષોની અનિયંત્રિત વૃદ્ધિ અને વિકાસ .
પ્રથમ ભાગમાં લેખકે કેન્સર અંગે વિશેષ સંશોધન કરનાર ડો. સીડની ફાર્બર કે જેઓ પેથોલોજીસ્ટ હતા તેમણે કરેલા પ્રયત્નો અંગે વિસ્તૃત છણાવટ કરી છે ડો.સીડની ફાર્બર એટલે Father Of Modern Chemotherapy કે જેમણે સૌ પ્રથમ Aminopterin દવા બાળકોમાં થતા લ્યુકેમિયાના કેન્સરની સારવાર માટે ઉપયોગ કરી હતી.
ઈ.સ.1838 માં પ્રથમવાર મેથીયાસ સેલ્ડન અને થીઓડોર સ્વાન નામના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે દરેક સજીવોના બંધારણ
મૂળભૂત એકમો એવા કોષોથી બનેલું છે.
તે આધાર પર જર્મન વિજ્ઞાની રૂડોલ્ફ વર્ષો (1821-1902)કે જેઓ The Father of Modern Pathology તરીકે ઓળખાય છે ,તેમણે માનવીય જીવવિજ્ઞાનની (cellular theory)ની રચના કરી.
જેમાં તેમણે કહ્યું કે માનવ શરીર એ કોષોનું બનેલું છે અને એક કોષ એ બીજા કોષમાંથી ઉત્પન્ન થાય છે.
આ થિયરીના અનુમાન પર જ રૂડોલ્ફ વર્ષોએ કહ્યું કે કોષોનો વિકાસ બે રીતે થઈ શકે,
1) Hyperplasia
2)Hypertrophy.
1)હાઇપરપ્લેસિયા એટલે કોષોની સંખ્યામાં થતો વધારો અને
2)હાઈપરટ્રોફી એટલે કોષોના કદમાં થતો વધારો.
દરેક માનવ શરીરમાં થતો પેશીઓનો (tissues) વિકાસ આ બે રીતે જ થતો હોય છે.
જેમ કે શરીરમાં થતી ચરબીનો વધારો, સ્નાયુનો વિકાસ એ હાઇપરટ્રોફી (કોષોના કદમાં થતો વધારો )દ્વારા થાય છે .
અને લીવર, લોહી, આંતરડા, ચામડી વગેરેની વૃદ્ધિ માટે હાઈપરપ્લેસિયા (કોષોની સંખ્યામાં થતો વધારો) જવાબદાર હોય છે .
આથી જ રૂડોલ્ફ વર્ષોના મતમુજબ રોગજનિત કોષોની સંખ્યામાં થતો વધારો એ જ કેન્સર કહી શકાય,જેને રૂડોલ્ફ વર્ષોએ Neoplasia અર્થાત ન સમજી શકાય તેવું વિકૃત પ્રકારની કોષોની વૃદ્ધિ કહ્યું હતું.
આ થિયરી મુજબ લ્યુકેમિયા એટલે neoplasia of blood અર્થાત લોહીમાં રહેલ શ્વેત કણોનો અનિયંત્રિત વિકૃત પ્રકારે થતો વધારો, જે પ્રવાહી રૂપે શરીરમાં રહેલા હોય છે.
એક્યુટ લ્યુકેમિયા એ બીજા બે સબ ગ્રુપમાં જોવા મળે છે 1)AML-ACUTE MYELOID LEUKAEMIA કે જે માયલોડ કોષોની વૃદ્ધિ જોવા મળે છે
2) ALL-ACUTE LYMPHOBLASTIC LEUKEMIA કે જેમાં લીમ્ફોઇડ કોષોની અનિયંત્રિત વૃદ્ધિ લોહીમાં જોવા મળે છે જેને lymphoma કહેવાય છે.
બાળકોમાં સામાન્ય રીતે સૌથી વધુ જોવા મળતું કેન્સર છે ALL,જે ખૂબ જ ગંભીર પ્રકારનું લોહીનું કેન્સર છે.
ત્યારબાદ લેખક ડો. વિલિયમ હાલસ્ટેડ(૧૮૫૨ -૧૯૨૨) ના સંશોધન અંગે જણાવે છે, જે એક અમેરિકન સર્જન હતા, જેમણે Radical Mastectomy કે જેમાં સ્તન કેન્સરના દર્દીના સંપૂર્ણ સ્તનને સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે તે પદ્ધતિને પ્રચલિત કરી હતી. જે તેમના સમયમાં ખૂબ જ વિખ્યાત પામી હતી.
કેન્સરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા લેખક જણાવે છે કે ઈ.સ. પૂર્વેના 2625 વર્ષ પહેલા ઇજિપ્તમાં થઈ ગયેલા ડો. ઈમ્હોટેપ(Imhotep) દ્વારા સ્તન કેન્સર નું વર્ણન કરવામાં આવેલું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે આ રોગની કોઈ સારવાર નથી.
https://jiteshmori.wordpress.com/2025/02/01/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%95-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9a%e0%aa%af%c3%b7-nb/
ત્યારબાદ ઇ.સ.પૂર્વે 440 વર્ષ પહેલા ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે એટોસા (પર્શિયન દેશની રાણી) જે સાયરસની પુત્રી હતી અને ડેરિયસ રાજા ની પત્ની હતી, તેના રોગનું વર્ણન કરેલું છે. જેમાં એટોસાને સ્તન કેન્સર હોવાનું વર્ણન કરેલું જોવા મળે છે.
આગળ લેખક રોગોના નામ અંગે રસપ્રદ માહિતી આપતા કહે છે કે ટાઈફોડ(Typhoid)રોગનું નામ ગ્રીક શબ્દ 'Typhon' નું કે જે એક પ્રકારનો આંતરડાનો તાવ છે તેનો અર્થ છે 'the father of winds' કહેવાય છે,તેના પરથી આવેલું છે.
તેવી જ રીતે Influenza એ લેટિન શબ્દ 'influentia' પરથી લેવાયો છે, જેમાં વારંવાર flu થાય છે તેથી તેને ઇન્ફ્લુએન્ઝા કહેવાય છે .
તેવી જ રીતે ટ્યુબરક્યુલોસિસ( ક્ષયરોગ) રોગનું નામ લેટિન શબ્દ " Tuber" પરથી લેવાયું છે જેનો અર્થ છે, સોજો ચડેલ ગ્રંથિઓ.
'કેન્સર' નામ અંગે લેખક જણાવે છે કે ઇ.સ. પૂર્વે 400માં હિપોકેટસ દ્વારા આ માટે 'KARKINOS' શબ્દ વપરાયો હતો, જે ગ્રીક શબ્દ 'crab' પરથી લેવામાં આવ્યો હતો. એવી ગાંઠ કે જે ચોતરફથી લોહીની નસોથી ઘેરાયેલી છે અને કરોળિયા કે કરચલા જેવો આકાર દર્શાવે છે તેને Karkinos કહેવાય છે.
બીજી રસપ્રદ માહિતી આપતા લેખક કહે છે કે કેન્સર શબ્દ ગ્રીક શબ્દ 'Onkos' પરથી આવ્યો છે, કે જે શરીરમાં થતી ગાંઠ માટે વપરાતો હતો. જે શબ્દ પરથી જ આજે Oncology અર્થાત કેન્સર અંગેનું વિજ્ઞાન શબ્દ અસ્તિત્વમાં છે.'onkos' નો અર્થ એક ગાંઠ કે ભાર થાય છે.
વર્ષ-1895માંં વિલ્હેમ રોંજન દ્વારા એક્સરે(X-ray)ની શોધ કરાઈ હતી જેના બીજા જ વર્ષે ઇ.સ.1896 માં એમીલ ગ્રેબ નામના મેડિકલ વિદ્યાર્થીએ એક્સ-રેની મદદથી કેન્સરની સારવાર કરવાનો પ્રયોગ કર્યો હતો,જેમાં તેને ઘણી સફળતા મળી હતી.જેનો પ્રયોગ તેણે સ્તન કેન્સરના દર્દીમાં કર્યો હતો.જે રેડીએશન થેરાપીની શરૂઆત ગણાય છે,
જે કેન્સરના કોષોને મારવા માટે અપાય છે ,જેને રેડીએશન અંકોલોજી(Radiation oncology) નામની નવી મેડિકલ શાખાની શરૂઆત ગણાય છે.
પરંતુ તેનો ઉપયોગ ફક્ત એક જ જગ્યાએ વૃદ્ધિ પામતા કે લોકલાઈઝ અંગમાં થતા કેન્સર જેમકે સ્તન કેન્સર, માટે જ થઈ શકતો હતો. લ્યુકેમિયા કે આંતરડાના ભાગમાં થતા કેન્સર કે ફેફસાના કેન્સરમાં રેડીએશન થેરાપી કારગત નીવડતી ન હતી.
આમ રેડીએશન થેરાપી બાદ પણ કેન્સરની સારવાર માટેની સિસ્ટમેટિક થેરાપી શોધવાની શરૂ જ હતું, ત્યારબાદ 19મી સદીમાં પોલ એરલીચ નામના જર્મન વિજ્ઞાનીએ કેન્સર માટે એકલ ડ્રગ શોધવાના પ્રયાસો કર્યા હતા. જેમાં તેણે Arsphenemine નામના ડ્રગ દ્વારા સિફિલસ રોગની સારવાર શોધી કાઢી હતી.જે કીમોથેરાપીની શરૂઆત ગણાય છે.
કીમોથેરાપી એટલે માનવ શરીરમાં નસ દ્વારા(Intra venous) રોગની સારવાર માટે અપાતી ખાસ પ્રકારની દવા.
પોલ એરલીચને વર્ષ 1908 માં તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ઇમ્યુનોલોજી ક્ષેત્રે પ્રદાન બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
આ દિશામાં ડો. સિડની ફાર્બર દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
કેન્સર અંગે વધુ રિસર્ચ માટે તેમણે ઈ.સ. 1948 માં ચિલ્ડ્રન્સ કેન્સર રિસર્ચ ફંડ(Childrens' cancer Research fund)ની શરૂઆત કરી હતી. આ દરમિયાન જ તેમણે 'જીમ્મી ફંડ' ની શરૂઆત કરી હતી જે કેન્સર રિસર્ચ ફંડ માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ફંડમાં સૌથી વધુ પૈસા એકઠા કરવામાં મેરી લાસ્કર નામની મહિલાનો ખૂબ જ મોટો ફાળો હતો જેને અમેરિકામાં લોકોને કેન્સર અંગે જાગૃત કર્યા હતા.
ત્યારબાદ કેન્સરની સારવાર માટેના દવાની શોધ ખૂબ જ પુરજોશમાં શરૂ થઈ.વર્ષ -1955માં કેન્સર કીમોથેરાપી નેશનલ સર્વિસ સેન્ટર(Cancer chemotherapy national service center-CCNSC)ની શરૂઆત થઈ, જેનું મુખ્ય કાર્ય કેન્સર માટેની દવા શોધવાનું હતું .
વર્ષ-1954 થી 1964 સુધીમાં દસ વર્ષના સમયમાં આ સેન્ટરમાં લગભગ 82,700 સિન્થેટિક કેમિકલ,1,15000 ફર્મેન્ટેશન પ્રોડક્ટ અને 17,200 વનસ્પતિના ભાગો પર રિસર્ચ કરાયું હતું ,જેના માટે લગભગ 10 લાખ ઉંદરો પર પ્રયોગ કરવામાં આવ્યા હતા.
વર્ષ -1940 પછી ઘણી બધી નવી એન્ટિબાયોટિક દવાઓ શોધાઈ રહી હતી, પરંતુ પ્રશ્ન એ હતો કે તેની દર્દીઓ પર અસર કેવી રીતે થાય છે તેની એક યુનિવર્સલ વૈજ્ઞાનિક પદ્ધતિ શું હોઈ શકે?
તેમાંથી જ જન્મ થયો રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ(RCT) કે જે એક બ્રિટિશ આકડાશાસ્ત્રી બ્રેડફોર્ડ હીલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
તેણે કોઈ દવાની અસરકારકતા સિદ્ધ કરવા જેતે રોગના દર્દીઓ પર પ્રયોગ કરવા માટે કંટ્રોલ ગ્રુપ અર્થાત જે લોકોને તે રોગ થયો નથી તેવા લોકો પણ હોય એવી પદ્ધતિ શોધી કાઢી.
આ સમય દરમિયાન જ freyar,Fray અને Zuborg નામના વિજ્ઞાનીઓએ એકસાથે બે કે ત્રણ ડ્રગની સંયુક્ત ટ્રાયલ લ્યુકેમિયા કેન્સરની સારવાર કરવા માટે કરી. જેમાં બે ડ્રગ મીથોટ્રેકઝેટ(methotraxate) અને 6-MP નામના ડ્રગની સંયુક્ત ટ્રાયલ લ્યુકેમિયા પીડિત બાળકો પર કરવામાં આવી જે નિષ્ફળ નિવડી અને લ્યુકેમિયા ગ્રસ્ત બાળકો એક વર્ષની અંદર જ મૃત્યુ પામ્યા, જેનું કારણ હતું આ દવાઓની ટોક્સિસિટી.
ત્યારબાદ Vincristine નામના એન્ટી કેન્સર ડ્રગ ની શોધ થઈ જે લુકેમિયાના કેન્સરના દર્દીઓ પર પ્રયોગ દ્વારા શોધી કઢાઈ હતી, હોવાડ સ્કીપર નામના વિજ્ઞાનીએ ઉંદરો પર પ્રયોગ કરીને સમજાવ્યું કે કીમોથેરાપી દ્વારા એક નિશ્ચિત ટકાવારીમાં જ લ્યુકેમિયા માટે જવાબદાર કોષોને મારી શકાય છે, બીજું તેણે એ કહ્યું કે એક કરતાં વધુ દવાઓને મિક્સ કરવાથી તેની કાર્યક્ષમતા વધે છે .
ત્યારબાદ આ તારણ પરથી freirich અને Frey નામના વિજ્ઞાનીઓએ લ્યુકેમિયાની સારવાર માટે ચાર દવા
vincristine,Amethopterin,Mercaptopurine અને Prednisone(VAMP) નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.જે વર્ષ-1961માં આયોજન થયું હતું પરંતુ તે ટ્રાયલની સફળતા થોડો સમય માટે જ રહી હતી, લ્યુકેમિયાના કોષો ફરિવાર શરીરમાં ઉત્પન્ન થતા હતા.
ત્યાર પછીના સમયગાળામાં ડો. વિલિયમ હાલસ્ટેડ દ્વારા શોધાયેલ Radicalની જગ્યાએ Tamoxifen નામની દવા શોધાય, જેનાથી સ્તન કેન્સરની સારવાર શક્ય બની હતી.
વર્ષ -1985માં હાવર્ડ યુનિવર્સિટીના જીવવૈજ્ઞાની જોહન કેનર્સ દ્વારા કેન્સર અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો.
જેમાં તેણે ઇ.સ.1950 થી લઈને 1985 સુધીના ડેટા નો અભ્યાસ કર્યો. જોન કેનર્સ દ્વારા કિમોથેરાપીને બે શ્રેણીમાં વહેંચવામાં આવી.
1) curative 2)adjuvant
Curative કેમોથેરાપીનો અભિગમ frey અને Freirich નામના વિજ્ઞાનીઓ દ્વારા શોધી કાઢ્યો હતો, જેમાં સક્સેસ રેટ 80 થી 90 % હતો.
જ્યારે Adjuvant કીમોથેરાપી સર્જરી કર્યા બાદ અપાતી હતી.
તેનાથી પણ કેન્સરના દર્દીઓની સારવારમાં ખૂબ ફાયદો થતો હતો.
પુસ્તકના ચોથા ભાગમાં લેખક જણાવે છે કે "prevention is the cure." અર્થાત કેન્સરની સારવાર કરવાની બદલે કેન્સર ન થાય તેની કાળજી રાખવી એ કેન્સરથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આ માટે તેમણે ફેફસાનું કેન્સર અને બીડી સિગરેટનું સેવન એ બંને વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો હતો.
Austin Hill,Wiliam Doll,Earnest vander અને Evart Graham નામના વિજ્ઞાનીઓએ સાબિત કર્યું હતું કે બીડી-સિગરેટ નું સેવન કરનારા લોકોમાં ફેફસાનું કેન્સર થવાની શક્યતા નોન-સ્મોકિંગ કરતા વધુ હોય છે ,જે તેમણે રિસર્ચ ડેટા ના આધારે શોધી કાઢ્યું હતું .અને બીડી અને સિગરેટનું સેવન કરતાં લોકોમાં આ જોખમ પાંચથી દસ ગણું વધારે હોય છે.
આ દરમિયાન જ ડો. હેનરી કેપલાન નામના વૈજ્ઞાનિક દ્વારા Hodgkins Lymphoma કેન્સરની સારવાર માટે રેડીએશન થેરાપી શોધી હતી, જેના દ્વારા લીમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાની સારવાર પણ કરાતી હતી.
વર્ષ -1990માં હરસેપ્ટિન(Herceptin) નામના નવા ડ્રગ ની શોધ થઈ જેના દ્વારા સ્તન કેન્સરની સારવારમાં વધુ સફળતા મળી.
ત્યારબાદ વિજ્ઞાનીઓનું ધ્યાન કેન્સરના પ્રીવેન્શન તરફ ગયું જેમાં તેમણે કેન્સર માટે જવાબદાર કારકો કે જેને કારસીનોજન(Carcinogen)કહેવાય તેનાથી બચવાના ઉપાયો દર્શાવ્યા. જેમ કે ફેફસાના કેન્સર રોકવા સ્મોકિંગથી દૂર રહેવું, લીવરના કેન્સરથી બચવા હિપેટાઇટિસ-બીની રસી લેવી,જ્યારે બીજા ઉપાય તરીકે સ્ક્રીનીંગ અર્થાત કેન્સર નિદાન માટેના ટેસ્ટ કરાવવા.
જેમ કે Pap smear નામના ટેસ્ટથી સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સરની જાણ થાય છે તો તેના દ્વારા કેન્સર થતું અટકાવી શકાય અને આગોતરી સારવાર કરી શકાય જેથી મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે
પુસ્તકના પાંચમા ભાગમાં લેખકે નોર્મલ કોષો અને કેન્સર કોષો વચ્ચેના ફરકને દર્શાવ્યો છે. જેમાં શરીરમાં રહેલ કોષોનું કાર્ય ,રચના તથા અન્ય કોષોથી બનતી પેશી,અંગો તથા તંત્રઅંગેની વિસ્તૃત છણાવટ કરી છે.
કેન્સર કોષોની અસામાન્ય વૃદ્ધિની પ્રક્રિયાને સૌપ્રથમવાર વિચાર રજૂ કરનાર વૈજ્ઞાનિક હતા, થીયોડોરે બોવેરી (1862 - 1915) કે જેમણે કહ્યું હતું કે કેન્સર ગ્રસ્ત કોષો જ શરીરના અંગોના કાર્યને વિક્ષેપિત કરે છે.
આ ભાગમાં જ વોલ્ટર ફ્લેમિંગ (1843 - 1905) કે જેમણે કોષોની રચનામાં જનીનનું મહત્વ સાયટોજીનેટિક્સ(cytogenetic) સમજાવ્યું હતું તે અંગે ચર્ચા કરી છે.
ત્યારબાદ થોમસ મોર્ગન (1866- 1945) નામના વિજ્ઞાનીએ કોષ લેવલે થતી પ્રક્રિયામાં ક્રોમોઝોમ (રંગસૂત્રો)ના મહત્વ અંગે વધુ સંશોધન કર્યું હતું. આમ કેન્સર અંગેના રિસર્ચમાં જિનેટિક્સ નો પ્રવેશ થયો હતો. ઓસ્વાલ્ડ એવરી નામના બેક્ટેરિયોલોજીસ્ટ (1877 - 1955) કે જેઓ યુનિવર્સિટી ન્યૂયોર્કમાં કાર્ય કરતા હતા તેમણે કેન્સર રોગોમાં જનીનના મહત્વ અંગે સંશોધન કર્યું હતું.
ત્યારબાદના સમયગાળામાં વાયરસ દ્વારા પણ કેન્સર રોગ થઈ શકે છે તે દિશામાં સંશોધનો થયા હતા. ફ્રાન્સિસ રોસ (1879 - 1970) નામના વાયરોલોજીસ્ટે સૌ પ્રથમ શોધી કાઢ્યું હતું કે અમુક પ્રકારના વાયરસના ચેપથી કેન્સર થઈ શકે છે.
ત્યારબાદ Bert wogelstain નામના વિજ્ઞાનીએ શોધી કાઢ્યું કે આપણા જનીનોમાં રહેલા અમુક પ્રકારના જનીન કે જે કેન્સર પેદા કરે છે તેને Oncogene કહેવાય છે .જે મોર્ડન કેન્સરના ક્ષેત્રે મોટું પ્રદાન ગણાય છે .
વર્ષ -1990 થી લઈને 2005 સુધીમાં કેન્સરને લીધે થતા મૃત્યુદરમાં 15% નો ઘટાડો નોંધાયો હતો, જે કેન્સર રિસર્ચ પાછળ થતા ખર્ચની સિદ્ધિ ગણી શકાય
જેમ કે ફેફસાના કેન્સરમાં ઘટાડા માટે પ્રીવેન્શન, આંતરડાના અને ગર્ભાશયમુખના કેન્સરના ઘટાડા માટે પ્રીવેન્શન + સ્ક્રિનિંગ જવાબદાર હતા. લ્યુકેમિયા, લીમ્ફોમાના કેન્સરની સારવારમાં કીમોથેરાપીનો રોલ મહત્વનો સાબિત થયો હતો.
સૌથી મોટી સફળતા સ્તન કેન્સર અંગે મળી હતી, જેમાં વર્ષ 1990 થી 2005 ની વચ્ચે તેનાથી થતા મૃત્યુમાં 24% નો ઘટાડો થયો હતો.
જેમાં મેમોગ્રાફી (સ્તન કેન્સર નિદાન માટેનો ટેસ્ટ ),સર્જરી અને Adjuvent કેમોથેરાપી આ ત્રણનો ફાળો ખૂબ મોટો છે.
ટૂંકમાં લેખકે કેન્સરના ઇતિહાસથી લઈને વર્ષ 2010 સુધીમાં થયેલ કેન્સર અંગેની પ્રગતિ તેમજ હાલમાં વપરાતી સારવાર અંગે માહિતી આપી છે .
કેન્સર થવાના અનેક કારણો છે જેમાં ઘણા કેન્સર -જીનેટીકલ (વારસાગત) પરિબળોને કારણે, તો ઘણા કેન્સર ખરાબ જીવનશૈલી, આદતોને, કારણે વધુ થાય છે.
કેન્સરના અનેક પ્રકારો છે.આપણા શરીરમાં રહેલ જનીનો જો મ્યુટેશન પામે તો કોઈ પણ બાહ્ય કારણ વગર પણ કેન્સર થઈ શકે છે.
તાજેતરમાં જ અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા રજૂ થયેલ કેન્સર અંગેના આંકડાઓ દર્શાવે છે કે અમેરિકામાં વર્ષ 1991 થી લઈને 2023 સુધીમાં કેન્સરથી થતા મૃત્યુમાં 33% નો ઘટાડો નોંધાયો છે.(CA: A CANCER JOURNAL FOR CLINICIANS).
જેમાં જણાવ્યું છે કે સ્ત્રીઓમાં થતા ગર્ભાશય મુખના કેન્સર(cervical cancer)( 20 થી 24 વર્ષની ઉંમર)મા 65% નો ધરખમ ઘટાડો થયો છે. જેનું કારણ HPV(HUMAN PAPILLOMA VIRUS)કે જેને કેન્સર માટે જવાબદાર છે, તેની રસી ની ઉપલબ્ધતાને કારણે શક્ય બન્યું છે.
# *કેન્સર રોગોમાં સામાન્ય રીતે વપરાતી ટર્મિનોલોજી÷*
(1) Acute LYMPHOBLASTIC leukemia ÷ શ્વેત -રક્ત કણો વિકૃત થવાથી થતું બ્લડ કેન્સર.
(2) carcinogen÷ કેન્સર કરનાર કારકો ,જેમ કે ફેફસાના કેન્સર માટે સિગરેટ કે બીડી જવાબદાર હોય.
(3) metastatic cancer÷ અર્થાત કોઈ અંગમાં થતું કેન્સર શરીરના અન્ય અંગોમાં ફેલાય તેને મેટાસ્ટેટિક કેન્સર કહેવાય
(4)Neoplasia÷ કેન્સરનું જ બીજું નામ
(5) oncogene÷ કેન્સર માટે જવાબદાર જનીન.
આમ,આ પુસ્તક એ કેન્સર અંગેની જાણકારી મેળવવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક કહી શકાય. લેખક દ્વારા કેન્સર ના ઇતિહાસથી લઈને તે અંગે સમગ્ર વિશ્વમાં થયેલ પ્રયત્નો, સંશોધનો તથા સારવારની ખૂબ જ ઝીણવટપૂર્વક ની માહિતી આ પુસ્તકમાં આપેલ છે. કેન્સર અંગે જાણકારી મેળવવી હોય તો આ પુસ્તક કેન્સરના બાઈબલ ની ગરજ સારે છે
આજે જ્યારે વિશ્વમાં જીવનશૈલીના કારણે થતા રોગોમાં વધારો થતો જાય છે તેમ તેમ કેન્સર રોગનું પ્રમાણ પણ વધતું જાય છે આપણો દેશ જેમ ડાયાબિટીસ કેપિટલ છે તેમ કેન્સર કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યો છે,તે જોતા આ પુસ્તકમાં આપેલ માહિતી આપણને જીવનમાં ઉપયોગી થાય તેવી છે.
*ડો.જીતેશ મોરી*
Mo-9638883773
👍
2