HEALTH ALERT
HEALTH ALERT
February 24, 2025 at 02:34 PM
સાયેટિકા આજે આપણે એક ખૂબ સામાન્ય રીતે જોવા મળતા એક રોગ સાયેટિકા વિષે જોઈશું. આ રોગ વિષેની વિગતોમાં જતાં પહેલાં આપણે સાયેટિક નર્વ શું છે એ સમજવું જોઈએ. સાયેટિક નર્વની રચના અને કાર્ય: આપણા કરોડસ્થંભમાં મણકાઓ આવેલા હોય છે. આ મણકાઓની હારમાળાને જ કરોડસ્તંભ કહેવાય છે અને આ મણકાઓની વચ્ચે વચ્ચે ગાદીઓ આવેલી હોય છે. જે કરોડસ્તંભ જ્યારે વળે ત્યારે તેનાં કુશન તરીકે કાર્ય કરે છે. કરોડસ્તંભની અંદર કરોડરજ્જુ આવેલી છે. રજ્જુ એટલે દોરડું. આ કરોડરજ્જુ મગજમાંથી ઉદભવેલા નર્વઝ (ચેતાતંતુઓ)નું દોરડું છે જે ખોપરીમાંથી બહાર નીકળીને કરોડસ્તંભની અંદર ઉતરે છે અને જ્યાં કરોડસ્તંભ પૂરો થાય છે ત્યાં સુધી જાય છે. આ નર્વઝનું કાર્ય શરીરનાં અંગોમાંથી સંવેદનાના સંદેશા મગજ સુધી પહોંચાડવાનું અને મગજ જે આજ્ઞા આપે તેને શરીરનાં અંગો સુધી પહોંચાડવાનું છે. એ યાદ રાખીએ કે અંગોમાંથી મગજમાં સંદેશા લઈ જનાર નર્વઝને સેન્સરી નર્વઝ અને મગજમાંથી સંદેશા અંગોને પહોંચાડનાર નર્વઝને મોટર નર્વઝ કહેવાય છે. હવે આપણે આવીએ આપણા સાયેટિક નર્વ ઉપર. આ નર્વ શરીરનો સૌથી લાંબો નર્વ છે અને સૌથી જાડો નર્વ છે, લગભગ આપણા અંગૂઠા જેટલો જાડો. સાયેટિક નર્વનાં કૂલ પાંચ મૂળ હોય છે જે કમરના નીચેના મણકાઓમાંથી એક દોરડું બનીને સાયેટિક નર્વ તરીકે નીકળે છે અને નિતંબ અને જાંઘના પાછલા ભાગમાંથી નીચે તરફ જાય છે. ગોઠણથી નીચે જતી વખતે એના મુખ્ય બે અને એમાંથી કેટલાક પેટા વિભાગો પડી જાય છે જે પગના નીચેના ભાગ અને પગની આંગળીઓ સુધી જાય છે. આ સાયેટિક નર્વનાં દોરડાંમાં સેન્સરી અને મોટર એમ બન્ને પ્રકારના નર્વઝ હોય છે. બન્ને પગમાં એક-એક સાયેટિક નર્વ જાય છે. આટલું સમજ્યા પછી આપણે સાયેટિકા થવાનાં કારણો અને અને એ કેવી રીતે થાય છે તે જોઈએ. સાયેટિકા થવાનાં કારણો સ્થૂળતા શરીરનું અયોગ્ય પોશ્ચર કમરમાંથી અચાનક અને ઝાટકા સાથે વળવું નીચા વળીને ભારે વજન ઉપાડવું કરોડમાં પહોંચેલી ઈજા ઉંમર સહજ ઘસારો કોઈ ગાંઠ લોહીનો ગઠ્ઠો, સાયેટિકા કેવી રીતે થાય છે: હર્નિએટેડ ડિસ્ક: આને સાદી ભાષામાં ગાદી ખસી જવી કહેવાય છે. કરોડરજ્જુમાં કરોડના મણકાઓ વચ્ચે જે ગાદી આવેલી છે તે બહારની તરફ ખસી જાય છે અને પરિણામે સાયેટિક નર્વ પર દબાણ આવે છે. સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ: કરોડરજ્જુનો નીચેના ભાગની કેનાલ સાંકડી થઈ જાય છે અને તેથી સાયેટિક નર્વ પર દબાણ આવે છે. સ્પૉન્ડિલોલિસ્થેસીસ: કરોડરજ્જુમાંનું મણકાનું એક હાડકું એની મૂળ સ્થિતિમાંથી બહાર સરકી જાય છે. સ્થૂળતા: વધુ પડતું વજન તમારી કરોડ પર લોડ પાડે છે અને તેથી એને ઘસારો લાગે છે અને કરોડ નબળી પડે છે. તમારી નોકરી: એવો વ્યવસાય કે જેને ભારે વજન ઉપાડવાની જરૂર હોય છે, ઘણું નમવું પડતું હોય છે અથવા બેડોળ કે અસામાન્ય સ્થિતિમાં કામ કરતા હોય છે તે લોકોને પીઠની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. લાંબા સમય સુધી બેઠક સાથેની નોકરીઓ - ખાસ કરીને પીઠના યોગ્ય સમર્થન વિના - પણ પીઠની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. યોગ્ય પોશ્ચર ન રાખવું: ભલે તમે ફીટ હો પણ કોઈ વજન ઉપાડતી વખતે સારી મુદ્રાનો ઉપયોગ ન કરો તો પણ આ તકલીફ થઈ શકે છે. જો તમે શારીરિક રીતે ફિટ અને સક્રિય હો તો પણ, જો તમે વેઈટ લિફ્ટિંગ, સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ અથવા સમાન પ્રવૃત્તિઓ દરમિયાન યોગ્ય શારીરિક પોશ્ચરનું પાલન ન કરો તો પણ તમને સાયેટિકા થવાની સંભાવના વધી જાય છે. બોન સ્પર્સ: કરોડરજ્જુના હાડકાં પર હાડકાની અતિશય વૃદ્ધિ થઈ અને એ સાયેટિક નર્વને દબાવે છે. પિરીફોર્મિસ સિન્ડ્રોમ: નિતંબમાં પિરિફોર્મિસ નામનો સ્નાયુ હોય છે એ ખેંચાઈ જાય છે અને એ ખેંચાણ સાયેટિક નર્વ પર દબાણ લાવે છે. આ ઉપરાંત તમાકુનું સેવન તથા ડાયાબિટીસને પણ સાયેટિકાનાં કારણો બતાવ્યાં છે. સાયેટિકા કોઈ કારણ વગર પણ થઈ શકે છે. સાયેટિકાનાં લક્ષણો: સાયેટિકા હોવાનો અર્થ એ છે કે તમે સાયેટિક નર્વ સાથે જોડાયેલી પેટા નર્વઝના વિસ્તારમાં ગમે તે જગ્યાએ હળવીથી ગંભીર પીડા અનુભવી શકો છો. આ લક્ષણો તમારી પીઠ, નિતંબ અથવા પગને અસર કરી શકે છે. આ લક્ષણો તમારા પગ અને અંગૂઠા સુધી પણ વિસ્તરી શકે છે. અહીં એક વસ્તુ ખાસ ખાસ સમજવાની છે. સાયેટિકાના પેશન્ટને દુઃખાવો ભલે પીઠ, નિતંબ, જાંઘ કે ગોઠણ નીચેના ભાગમાં ગમે ત્યાં થાય પણ જે તકલીફ છે એ દુઃખાવાનાં જે-તે સ્થળે બિલકુલ નથી હોતી પણ તકલીફનું ઉત્પત્તિ સ્થળ એ હોય છે કે જ્યાં સાયેટિક નર્વ પર દબાણ આવતું હોય. આ સમજવું પડશે. માનો કે ઘરમાં પંખો નથી ચાલતો, ટીવી નથી ચાલતું, ટ્યુબલાઈટ નથી થતી આ બધું થવાનું કારણ એ બધાંમાં પોતામાં ખરાબી હોય એટલે નહીં પણ સ્વિચબોર્ડમાં વાંધો હોય એટલે થાય છે. જો તમે આ સમજો તો તમે સાયેટિકાના વિચિત્ર દુઃખાવાને સમજી શકો. સ્વિચબોર્ડના વાંધાની જેમ વાંધો અહીં સાયેટિક નર્વ જ્યાં દબાતી હોય ત્યાં હોય છે. પગના અન્ય ભાગો પર તો માત્ર એની અસર જ જોવા મળે છે. હવે લક્ષણો વિસ્તારથી જોઈએ. દુઃખાવો: મોટાભાગના લોકો સાયેટિકાના દુ:ખાવાને બળતરા અથવા તો ઈલેક્ટ્રિક શોક જેવી વર્ણવે છે. આ દુઃખાવો પીઠના નીચેના ભાગ કે નિતંબમાંથી શરૂ થઈ અને પગમાં નીચે તરફ જાય છે. આ દુઃખાવો સામાન્ય રીતે ઉધરસ, છીંક, શરીરને વાળવું કે પછી તમારી પીઠ પર સૂતા હો ત્યારે તમારા પગને ઉપરની તરફ ઉઠાવવાથી થાય છે. કળતર અને ખાલી ચડી જવી: આમાં અસરગ્રસ્ત ભાગમાં કળતર થાય છે અને સોય કે ટાંચણીઓ ભોંકાતી હોય તેવું લાગે છે. જ્યારે પગ સૂઈ જાય છે ત્યારે તમને જે લાગણી થાય છે તેના જેવું જ આ હોય છે. આપણે ઉપર જોયું એ પ્રમાણે સાયેટિક નર્વ સેન્સરી અને મોટર એમ બંને કાર્યો કરે છે. ઉપર જોઈ એ સેન્સરી કાર્યની ખામી હતી, હવે જો મોટર પાર્ટ દબાતો હોય તો જે તકલીફ થાય તે જોઈએ. સ્નાયુઓની નબળાઈ: આ એક વધુ ગંભીર લક્ષણ છે. તેનો અર્થ એ છે કે મગજ સ્નાયુઓને કમાન્ડ કરવા જે સિગ્નલો મોકલે છે તેમાંને તમારી પીઠ અથવા પગમાં તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. પેશાબ અને/અથવા મળત્યાગ પરનો કાબુ જવો: આ પણ એક ખૂબ જ ગંભીર લક્ષણ છે. તેનો અર્થ એ છે કે તમારા મૂત્રાશય અને આંતરડાંને નિયંત્રિત કરતા સંકેતો તેમના ગંતવ્ય સુધી પહોંચી રહ્યા નથી. સાયેટિકાનું નિદાન: આ રોગ ખૂબ કોમન છે અને ઉપર જણાવેલાં લક્ષણો જ્યારે પેશન્ટ વર્ણવે ત્યારે એને સાયેટિકા છે એવું સમજાઈ જાય છે. એક ખૂબ સરસ પરીક્ષણ એના માટે કરાય છે. વ્યક્તિને સીધી સૂવાડી અને એને પગ ગોઠણમાંથી વાળ્યા વગર ડોક્ટર ઊંચો લઈ જાય છે. જો સાયેટિકા હોય તો પેશન્ટના પગમાં દુઃખાવો થવા લાગે છે. આ ઉપરાંત પેશન્ટને ચાલવાની અને અન્ય મૂવમેન્ટ્સ કરાવીને એનું અવલોકન કરીને પણ ડૉક્ટર તારણ પર આવી શકે છે. આવશ્યકતા અનુસાર ડોક્ટર પેશન્ટને સ્પાઈન એક્સ-રે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કેન મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેન ઈલેક્ટ્રોમાયોગ્રાફી માયેલોગ્રામ જેવા એડવાન્સ્ડ ટેસ્ટ કરાવી શકે છે. સાયેટિકાની સારવાર: સાયેટિકાની સારવાર રોગ કેટલો આગળ વધેલો છે તેના પર આધાર રાખે છે. સાયેટિકાની સારવારમાં સામાન્ય રીતે પીડા ઘટાડવા અને મૂવમેન્ટ વધારવાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. ઘણી સારવારને લગતી બાબતો એવી છે જે તમે જાતે પણ કરી શકો છો. સાયેટિકા થવાનાં કારણ પર આધાર રાખીને, તેના હળવા કેસો સામાન્ય રીતે સ્વ-સારવારથી સારા થઈ જાય છે. જો સાયેટિકા એ લેવલે પહોંચી છે છે જે દૂર થતી નથી અથવા વધુ ગંભીર છે તો સારવારના ઘણા વિકલ્પો છે. જો તમારો કેસ ગંભીર હોય અથવા અન્ય સારવારો મદદ ન કરતી હોય તો સર્જરી એક વિકલ્પ હોઈ શકે છે. બરફનો શેક: બરફનો શેક દુ:ખાવો શરૂ થયા પછીના પ્રથમ થોડા દિવસોમાં દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે આ માટે આઈસ પેક અથવા શાકભાજીની થેલીનો ઉપયોગ કરી શકો છો. બરફના ગાંગડાઓને ટુવાલમાં લપેટીને પણ કરી શકો છો. એક સમયે વીસ મિનિટ માટે આ શેક કરો. દિવસમાં ઘણી વખત આ કરી શકાય છે. ગરમ શેક: આઈસપેક અથવા બરફનો ઉપયોગ કર્યાના પ્રથમ કેટલાક દિવસો પછી, હીટિંગ પેડ અથવા ગરમ કોમ્પ્રેસ પર સ્વિચ કરો. એક સમયે વીસ મિનિટ માટે ગરમીથી શેક કરો. જો છતાં દુઃખાવો ચાલુ રહે તો ગરમ અને ઠંડા પેક વચ્ચે સ્વિચ કરો, આ ઘણો કારગર ઉપાય છે. સારવારમાં નીચેનાનો પણ સમાવેશ કરી શકે છે: પ્રિસ્ક્રિપ્શન દવાઓ: પેઇનકિલર્સ એટલે કે દુઃખાવો ઘટાડતી દવાઓ,સ્નાયુઓને રિલેક્સ કરનારી દવાઓ અને અન્ય દવાઓ સાયેટિકાનાં લક્ષણોમાં મદદ કરી શકે છે. આ ઉપરાંત ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ્સ અને એન્ટી-સીઝર દવાઓ જેવી અન્ય દવાઓ પણ મદદ કરી શકે છે. પ્રેગાબાલીન નામની નર્વઝના દુઃખાવા પર કામ કરતી દવા પણ અપાય છે. એક્સરસાઇઝ: અન્ય વિકલ્પોમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અથવા વૉકિંગ, સ્વિમિંગ અથવા વૉટર ઍરોબિક્સ જેવી ઓછી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ફિઝિયોથેરાપી: સાયેટિકામાં ફિઝિયોથેરાપી ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. ફિઝિયોથેરાપિસ્ટ આ બાબતોના નિષ્ણાત હોય છે અને તેઓ વિશિષ્ટ પ્રકારની એક્સરસાઈઝો ઉપરાંત અન્ય ઉપકરણોથી ઘણી રાહત પહોંચાડી શકે છે. સ્પાઈનલ ઇન્જેક્શન: કોર્ટીકોસ્ટેરોઈડ્સ જેવાં ઈન્જેક્શનો સ્પાઈનમાં આપવામાં આવે છે. ટૂંકા ગાળાની રાહત આપી શકે છે (સામાન્ય રીતે ત્રણ મહિના સુધી). આમાં સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયાનો સમાવેશ થાય છે. વૈકલ્પિક ઉપચાર: આ સારવારો વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને પ્રમાણભૂત તબીબી ઉપચાર અથવા દવાઓ સિવાયના વિકલ્પો ઓફર કરે છે. તેમાં સ્પાઈન એડજસ્ટમેન્ટ, યોગ, એક્યુપંક્ચર અને વધુ માટે શિરોપ્રેક્ટરની સારવારનો સમાવેશ થાય છે. મસાજ થેરાપી સાયેટિકાને લીધે થતાં સ્નાયુ ખેંચાણમાં પણ મદદ કરી શકે છે. સાયેટિકાની રોકથામ: સારી મુદ્રા જાળવો. જ્યારે તમે બેસતા હો, ઊભા હો, વસ્તુઓ ઉપાડતા હો અને સૂતા હો ત્યારે સારી મુદ્રાની તકનીકોને અનુસરો. તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ છોડો (અથવા શરૂ કરશો નહીં). તમારા માટે તંદુરસ્ત હોય તેવાં વજન સુધી પહોંચો અને જાળવી રાખો. ખાતરી કરો કે તમને હાડકાંનાં સ્વાસ્થ્ય માટે પણ પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે. સક્રિય રહો. શારીરિક પ્રવૃત્તિમાં સ્ટ્રેચિંગથી લઈને સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ સુધીની દરેક બાબતોનો સમાવેશ થઈ શકે છે. કોર સ્ટ્રેન્થ અને લવચીકતા વધારવાથી પીઠના દુખાવામાં સુધારો થઈ શકે છે. પ્રવૃત્તિના અન્ય પ્રકારો, જેમ કે એરોબિક વ્યાયામ, તમારા માટે તંદુરસ્ત વજન સુધી પહોંચવામાં અને જાળવવામાં પણ તમને મદદ કરી શકે છે. તમારી જાતને પડી જવાથી બચાવો. પગરખાં પહેરો જે બંધબેસતાં હોય અને તમારા પડી જવાની શક્યતા ઘટાડવા માટે સીડી અને વૉકવેને ગડબડથી મુક્ત રાખો. ખાતરી કરો કે રૂમ સારી રીતે પ્રકાશિત છે અને બાથરૂમમાં ગ્રેબ બાર છે અને દાદર પર રેલ છે. સર્જીકલ ટ્રીટમેન્ટ: જો દવાઓ, એક્સરસાઇઝ વગેરે ઉપાયોથી ફાયદો ન થાય અને રોગ સહનશક્તિની બહાર જતો રહે કે કોઈ જોખમ ઊભું થાય તો સર્જીકલ ટ્રીટમેન્ટનો આશરો લેવો પડે છે. તેમાં ડિસ્કેકટોમી, લેમીનેકટોમી વગેરેનો સમાવેશ થાય છે. સાયેટિકાથી ડરી જવાની જરૂર નથી. ઘણી વખત આ રોગ કશું કર્યા વગર પણ મટી જાય છે. વિશેષ નોંધ: આ લેખ ડોક્ટરની સલાહ અને સારવારનો વિકલ્પ નથી. ડૉ પ્રણવ વૈદ્ય
👍 ❤️ 6

Comments