HEALTH ALERT
HEALTH ALERT
February 27, 2025 at 04:22 AM
ઓછું વજન જાળવવું ઑર મુશ્કેલ ? રોજર ફેડરર કહેતો હતો કે વર્લ્ડ નંબર વન બનવું એ મુશ્કેલ તો છે જ પણ પછી ત્યાં ટકી રહેવું એ એનાથી પણ વધુ મુશ્કેલ છે. આવી જ ઘટના આપણે જ્યારે મહામહેનતે વજન ઉતારીએ છીએ પછી પણ બને છે, એટલે કે એ આદર્શ વજન પર પહોંચી તો જવાય છે પણ તેના પર ટકી રહેવું એ વધુ મુશ્કેલ પૂરવાર થાય છે. અહીં એ જાણવું આવશ્યક ગણાશે કે શરીરમાં ફેટનો સંગ્રહ કરનારા ખાસ પ્રકારના સેલ્સ આવેલા હોય છે જેમને એડીપોઝ સેલ્સ કહે છે. આ સેલ્સ એડીપોઝ ટિશ્યુ બનાવે છે. આ ટિશ્યુઝ ચામડીની નીચે, આંતરિક અવયવો પર અને અસ્થિઓ પર હોય છે. વૈજ્ઞાનિકોએ આ બાબતનાં કારણોમાં જવા પ્રયાસ કર્યો છે. વિજ્ઞાન બતાવે છે કે આપણા ફેટના સેલ્સનાં ડીએનએમાં સ્થૂળતાની સ્મૃતિ એન્કોડ થયેલી હોય છે અને આ બાબત વજન ઘટાડવાનું અને જાળવવાનું મુશ્કેલ બનાવે છે. આ બાબત સમજાવી શકે છે કે શા માટે ઘણા લોકો વારંવાર વજન ઘટાડવા અને ફરીથી પાછું હતું એવું ને એવું થઈ જવાનાં ચક્રનો અનુભવ કરે છે. નવું સંશોધન દર્શાવે છે કે સ્થૂળતા એવા એપિજેનેટિક ફેરફારો કરે છે કે જે ડીએનએમાં રાસાયણિક ફેરફારોને ઉત્તેજિત કરે છે જે ફેટના સેલ્સમાં જીન્સની પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે. આ ફેરફારો વજન ઘટાડ્યા પછી પણ ચાલુ રહે છે, ફેટના સેલ્સ એવી રીતે કાર્ય કરે છે કે તેઓ શરીરને સ્થૂળતાની સ્થિતિમાં પાછું લાવી દે છે. આ અભ્યાસ દરમ્યાન સ્થૂળતાનો અનુભવ કરનાર વ્યક્તિઓ અને જેઓ ક્યારેય સ્થૂળ ન હતા તેમના ફેટના સેલ્સ વચ્ચે જીન પ્રવૃત્તિમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો. રસપ્રદ છે કે આ બદલાયેલી જીન પ્રવૃત્તિની પેટર્ન વ્યક્તિઓએ વજન-ઘટાડાની સર્જરી કરાવ્યા પછી પણ જળવાઈ રહી હતી, જે સૂચવે છે કે સ્થૂળતાનો ઈતિહાસ ધરાવતા લોકોમાં ફેટ સેલ્સ તેમની અગાઉની મેદસ્વી સ્થિતિની સેલ્યુલર મેમરી જાળવી રાખે છે. ઉંદર સાથેના પ્રયોગોએ આ તારણોને વધુ સમર્થન આપ્યું છે. જે ઉંદરો અગાઉ સ્થૂળ હતા તે ઉંદરો અને જે ક્યારેય સ્થૂળ ન હતા એ ઊંદરો એમ એ બન્ને ઊંદરોનાં ગ્રુપ્સને ઉચ્ચ ફેટવાળો ખોરાક આપવામાં આવ્યો ત્યારે અગાઉ જે સ્થૂળ હતા એ ઊંદરો સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ વજન મેળવતા જોવા મળ્યા હતા. આ સૂચવે છે કે ફેટ સેલ્સમાં થતા એપિજેનેટિક ફેરફારો માત્ર સ્થૂળતાને યાદ રાખતા નથી પરંતુ વજન પાછું મેળવવામાં પણ સક્રિયપણે ફાળો આપી શકે છે. આપણને થાય કે આ તો નિરાશાજનક હકીકત છે અને એ જાણીને ફાયદો શું, તો હકીકત એ છે કે ફેટ સેલ્સ સ્થૂળતાને કેવી રીતે યાદ રાખે છે તે સમજવાથી, વૈજ્ઞાનિકો વિશિષ્ટ પ્રકારના ઉપક્રમો વિકસાવી શકે છે, જેમ કે એવી દવાઓ કે જે આ સેલ્યુલર ફેરફારોને ઉલટાવી દે અથવા તો વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ વ્યક્તિગત રીતે ઘડી કાઢવામાં આવતા વજન-ઘટાડાના ઉપક્રમો. અહીં એ જાણવું અત્યંત જરૂરી છે કે બાળકનાં પહેલાં બે વર્ષમાં એડીપોઝ ટિશ્યુ સૌથી વધુ ઝડપે વધે છે અને એથી જો આ સમયગાળા દરમ્યાન બાળકને વધુ ફેટવાળો ખોરાક આપવામાં આવે તો એ કાયમ માટે સ્થૂળ બની જવાની અને સ્થૂળ રહેવાની પ્રકૃતિ ધરાવતું થઈ જઈ શકે છે. આ એડીપોઝ ટિશ્યુનો વધારો કિશોરાવસ્થા સુધી વધુ રહે છે, પછી ઓછો થતો જાય છે. આ કારણથી કિશોરાવસ્થામાં પહોંચે ત્યાં સુધી બાળકના ખોરાકનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ડૉ પ્રણવ વૈદ્ય
👍 3

Comments